રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.


લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ

ફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. 

GPCB સામે પણ લોકોમાં ભારે રોષ

સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત



  • Follow us on: