રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.
લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ
ફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે.













