અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ અને ભક્તિનો માહોલ ચરમસીમાએ છે. રથયાત્રાના આ વિશાળ પર્વ દરમિયાન લાખોની જનમેદની ઉમટતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને પણ હાઈટેક અને અતિ આધુનિક સ્તરે લઈ જવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચૂક ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વહેલી સવારથી જ ફૂલ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ
આ વર્ષની રથયાત્રામાં જમીની સુરક્ષાની સાથે સાથે આકાશી સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અદ્યતન 'એન્ટી ડ્રોન ટેકનોલોજી' વહેલી સવારથી જ સમગ્ર રૂટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી રથયાત્રાના રૂટની આસપાસના સંવેદનશીલ વિસ્તારો પર આકાશમાંથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેનું મુખ્ય મોનિટરિંગ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ ખાતે જ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પળેપળની હિલચાલ પર સીધી નજર રાખી રહ્યા છે.
