સુરતની કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 8 મહિનાની બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ભારે હોબાળો મચ્યો છે. સફળ ઓપરેશનના માત્ર બે દિવસ બાદ બાળકીનું અચાનક મોત થતાં પરિવારમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે. પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.
હોસ્પિટલ સત્તાધીશોએ હાથ કર્યા અધ્ધર
પરિવારના જણાવ્યા મુજબ બાળકીની હાર્ટ સર્જરી સફળ રહી હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું હતું. જોકે, ઓપરેશનના બે દિવસ બાદ તેની તબિયત અચાનક બગડી અને તેનું મોત થયું. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડૉ. વિશાલ અગ્રવાલ ઘટના બાદથી સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તંત્ર તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. પરિવારે વધુમાં આરોપ લગાવ્યો કે બાળકીની સ્થિતિ ગંભીર બન્યા બાદ તેને તપાસનાર નર્સે પરિવારને યોગ્ય માહિતી આપવાને બદલે સિક્યોરિટી સ્ટાફને બોલાવ્યો અને પોતે ત્યાંથી નીકળી ગયા. આ વર્તનને પરિવારજનોએ અત્યંત બેદરકારીભર્યું ગણાવ્યું છે.
