દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદની સીધી અસર રેલવે વ્યવહાર પર જોવા મળી છે.બોરીવલી-સુરત રેલ માર્ગ પર પાટા ધોવાઈ જવા તેમજ ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ જતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે અસંખ્ય ટ્રેનો રદ થઈ હતી.જયારે સંખ્યાબંધ ટ્રેનો ડાયવર્ટ થતાં મુસાફરોએ કંટાળીને પોતાની મુસાફરી કેન્સલ કરી દીધી હતી.

7 અને 8 જુલાઈના રોજ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો

શહેરમાં માત્ર 4 દિવસમાં સુરત અને આસપાસના સ્ટેશનો પરથી 3 હજારથી વધુ મુસાફરોએ પોતાની ટિકિટો કેન્સલ કરાવી લેતા પશ્ચિમ રેલવેને અંદાજે રૂપિયા 22.42 લાખથી વધુની રકમ રિફંડ પેટે ચૂકવવાની ફરજ પડી છે.વસઈ-વિરાર અને સચિન-ભેસ્તાન રેલ સેક્શનમાં સર્જાયેલી જળબંબોળની સ્થિતિને પગલે 7 અને 8 જુલાઈના રોજ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.9 જુલાઈથી પરિસ્થિતિ થાળે પડવાની હતી.પરંતુ લિંક એન્જિન-ડબ્બા સમયસર ન પહોંચવાના કારણે કલાકો સુધી ટ્રેનો મોડી દોડી રહી હતી. 

મુસાફરોએ પ્રવાસ મોકૂફ રાખવાનું વધુ મુનાસિબ માન્યું 

રેલવે તંત્રની આ અનિશ્ચિતતાને પગલે મુસાફરોએ પ્રવાસ મોકૂફ રાખવાનું વધુ મુનાસિબ માન્યું હતું.સૌથી વધુ તકલીફ 8 જુલાઈના રોજ જોવા મળી હતી.જેમાં એક જ દિવસમાં 1145 મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી હતી.મુસાફરોની સુવિધા માટે રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.હાલમાં ટ્રેનોનું સંચાલન નિયમિત થઈ ગયું હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું છે.મુસાફરોએ સુરત, ઉધના, સચિન, ભેસ્તાન અને મારોલીના પીઆરએસ (PRS) કાઉન્ટર પરથી આ ટિકિટો રદ્દ કરાવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! તમારા નળમાં આવતું પાણી પીવા લાયક નહીં હોવાનો ઘટસ્ફોટ