સુરત ACB પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાંચના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા પત્રકાર મહંમદ ઇસ્લામ પઠાણની ધરપકડ કરી છે.સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે મળીને લાખો રૂપિયાની તોડબાજી કરવાના આ હાઈપ્રોફાઈલ કેસમાં પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તે નાસતો ફરતો હતો, જેને આખરે એસીબીની ટીમે દબોચી લીધો છે.
મનપાના કાર્યપાલક ઇજનેર સાથે મળીને રચ્યું હતું કાવતરું
આ ચકચારી કેસની વિગત એવી છે કે,ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત મનપાના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 4 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફરિયાદીનું ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે મનપા અધિકારી વિપુલ ગણેશવાલા અને પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ વચ્ચે મિલીભગત રચાઈ હતી.આ બંનેના મેળાપીપળામાં ફરિયાદી પાસે બાંધકામ બચાવવાના અવેજ પેટે કુલ ₹૧૫ લાખની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી.
