સુરતમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના વ્યસ્ત ગણાતા ઉધના રોડ પર અચાનક ગટરમાંથી પાણીના મોટા ફુવારા ઉડવા લાગ્યા હતા. પાલિકા તંત્રની આવી લાલિયાવાડીના કારણે વગર વરસાદે રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
વાહનચાલકો મુશ્કેલીમાં અને અકસ્માતનો ભય
મુખ્ય માર્ગ પર જ ગટરમાંથી ફુવારાની જેમ પાણી બહાર ફેંકાતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક ઉદ્ભવેલી પરિસ્થિતિને કારણે રોડ પરથી પસાર થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પાણીના ફુવારાને કારણે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું હતું અને વાહનોની સ્પીડ ઘટી જતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
