સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ખાતા નંબર 130માં ચાલતા સોફાના એક કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો.
જ્વલનશીલ સામગ્રી હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
સોફા બનાવવાના આ કારખાનાની અંદર મોટા પ્રમાણમાં રૂ અને ફોમનો જથ્થો તેમજ અત્યંત જ્વલનશીલ કેમિકલ રાખવામાં આવ્યું હતું. આ તમામ સાધન-સામગ્રી ખૂબ જ ઝડપથી આગ પકડી લે તેવી હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગમ્ય કારણોસર લાગેલી આ આગ ક્ષણભરમાં આખા કારખાનામાં ફેલાઈ ગઈ હતી.

સુરત ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબૂ
ઘટના અંગે તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી સુરત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક મોરચો સંભાળી લેવામાં આવ્યો હતો અને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને કલાકોની મહેનત બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમના સમયસૂચક પ્રયાસોના કારણે આગ આસપાસના અન્ય કારખાનાઓમાં ફેલાતા અટકી હતી.

જાનહાની ટળી, પરંતુ મોટું આર્થિક નુકસાન
આ ગંભીર હોનારતમાં કારખાનાની અંદર રહેલો તમામ મોંઘો સામાન, કાચો માલ અને મશીનરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે કારખાના માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, સૌથી રાહતના સમાચાર એ છે કે, આ ઘટના સમયે કોઈ જાનહાની થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat માં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન