સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબો પર સીનિયર્સ દ્વારા કરવામાં આવતા અતિશય માનસિક અને શારીરિક ત્રાસ (રેગિંગ) ના કારણે એક ગંભીર હોનારત સર્જાઈ હતી. તબીબ હર્ષ નામના જુનિયર ડોક્ટરે સીનિયરોના અસહ્ય રેગિંગ અને હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

ડોક્ટરે હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી

આ કરુણ ઘટના બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જુનિયરો પાસે જાતજાતની ઉજવણીઓ કરાવવા અને માનસિક ત્રાસ આપવા બદલ ૪ સીનિયર તબીબો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર રેગિંગ રેકેટ અને ત્રાસ આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા અને માસ્ટરમાઇન્ડ ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા હતી.

ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા પોલીસ સ્ટેશન હાજર થઈ

ફરિયાદ નોંધાયા બાદ તપાસના ભાગરૂપે મુખ્ય આરોપી ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા આજે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ હતી. પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતી વખતે તેણે જણાવ્યું હતું કે, "મારા કલીગ સાથે જે દુઃખદ ઘટના બની છે તેનો મને ઊંડો અફસોસ છે. પોલીસ તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમને પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. તપાસ પૂર્ણ થયા બાદ હર્ષને ચોક્કસ ન્યાય મળશે."

આરોપો અંગે મૌન સેવ્યું

પોલીસ સ્ટેશનમાં હાજરી દરમિયાન જ્યારે ડો. દિક્ષિતાને જુનિયરો સાથે કરાતા રેગિંગ, માનસિક શ્રમ અને હેરાનગતિ અંગેના સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેણે પોતાના પર લાગેલા આ ગંભીર આરોપો અંગે કશું જ બોલવાનું ટાળ્યું હતું. હાલ ખટોદરા પોલીસે તમામ ૪ તબીબોના નિવેદનો અને હોસ્પિટલના પુરાવાઓ એકત્ર કરીને કાયદેસરની એરેસ્ટ (ધરપકડ) સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Mahisagar: સંતરામપુર હાઇવે પર ટેન્કર-કારની ટક્કરમાં એક જ પરિવારના 3 ના મોત, ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો