સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લિંબાયત,ડિંડોલી અને સારોલીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી.મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું,તેમજ સ્થાનિક દુકાનદારો, સોસાયટીના રહીશો અને અસરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ,નુકસાન અને જરૂરીયાતોની જાણકારી મેળવી નાગરિકોને જરૂરી સહાય પહોંચે તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપ્યો હતો.
સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી
સુરત કલેક્ટર કચેરી ખાતે આજે રાત્રે 11.30 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને અસરગ્રસ્ત લોકો માટે કેસડોલ અને નુકશાની પેકેજ સહિતના મુદ્દાઓ પર બારીક ચર્ચા કરીને નાયબ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી.
