સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કથિત હેરાનગતિથી પરેશાન થઈને 75 વર્ષના એક વૃદ્ધ દંપતીએ ઇચ્છામૃત્યુ માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતિના કારણે કંટાળીને આખરે આ દાદા-દાદીએ જીવવા કરતાં મૃત્યુ પસંદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરી દ્વારા આ ઇચ્છામૃત્યુની અરજીને સ્વીકારી લેવામાં આવી છે.


10 વર્ષ પહેલા અકસ્માતમાં આખો પરિવાર ગુમાવ્યો હતો

આ વૃદ્ધ દંપતી ભૂતકાળમાં ભારે મોટી કુદરતી આફત સહન કરી ચૂક્યું છે. દસ વર્ષ પહેલાં પાવાગઢથી પરત ફરતી વખતે આ દાદા-દાદીનો આખો પરિવાર એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. આ અકસ્માતમાં તેમનો પુત્ર, વહુ, બે પૌત્ર, દીકરી, જમાઈ, તેમના બે બાળકો અને એક સાળા સહિત પરિવારના તમામ સભ્યોનો માળો વિખેરાઈ ગયો હતો. આ અકસ્માત બાદથી જ વૃદ્ધ દંપતી તદ્દન એકલું પડી ગયું હતું અને પાંડેસરા વિસ્તારમાં આવેલી પોતાની મિલકતોના ભાડાની આવક પર ગુજારો કરતું હતું.

રાજકીય ઇશારે દુકાનો પચાવી પાડવાનો આક્ષેપ

વૃદ્ધ દંપતીનો ગંભીર આક્ષેપ છે કે, પાંડેસરામાં આવેલી તેમની કરોડોની મિલકતો ભાજપના કેટલાક મળતિયાઓ તંત્રનો દુરૂપયોગ કરીને પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા સુજલ પ્રજાપતિ નામના અધિકારી દ્વારા ફાયર સેફ્ટીના અભાવનું બહાનું બતાવીને દાદા-દાદીની 9 જેટલી દુકાનો ખોટી રીતે સીલ કરી દેવામાં આવી હતી.

આ મામલે વૃદ્ધ દંપતીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સાડા પાંચ વર્ષની લાંબી કાનૂની લડત બાદ હાઇકોર્ટના આદેશથી આ દુકાનો ખોલી આપવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગે પણ સત્તાવાર લેટર આપીને સ્પષ્ટ કર્યું હતું કે, આ દુકાનોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની જરૂરિયાત ઊભી થતી નથી.


કારણ વગર ફરી સીલ મારતા જીવવું મુશ્કેલ બન્યું

હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યાને હજુ થોડો સમય જ થયો હતો ત્યાં 20 દિવસ પહેલા, એટલે કે 30 મેના રોજ, ઉધના ઝોનના અધિકારીઓએ કોઈ પણ જાતનું કારણ દર્શાવ્યા વગર કે નોટિસ આપ્યા વગર આ તમામ 9 દુકાનોને ફરીથી સીલ મારી દીધું છે. આ દુકાનોમાંથી આવતા ભાડાના રૂપિયાથી જ આ દંપતીનું ગુજરાત ચાલતું હતું અને દવા-પાણીનો ખર્ચ નીકળતો હતો.

હવે ભાડાની આવક સંપૂર્ણ બંધ થઈ જતાં આ ઉંમરે ગુજારો ચલાવવો અશક્ય બન્યો છે. કોઈના ઇશારે અધિકારીઓ દુકાનો પચાવવા માટે વારંવાર હેરાન કરી રહ્યા હોવાથી, હવે ન્યાય મેળવવાની હિંમત ન બચતા દાદા-દાદીએ આખરે કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરી છે.


આ પણ વાંચો - Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે


  • Follow us on: