રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં રાહત કમિશનરએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદ્રઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો હતો.તેમણે કોઈપણ કટોકટી વખતે સ્ટેટ કંટ્રોલ રૂમને તરત જાણ કરવા સૂચના આપી હતી.
વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
તેમણે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન પૂર્વાનુમાનના આધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વ તૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું કે,આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.
ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલ 22 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.22 અને 23 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ
24 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.રાહત કમિશનરએ એમ પણ જણાવ્યું હતુ કે, માળખાકીય સુવિધાઓ અને જળાશયોની સલામતી માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જ જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.વરસાદના કારણે જો રસ્તાઓ બંધ થાય ત્યારે વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Mahisagar News: વીરપુરના વરધરામાં આધેડનો મૃતદેહ મળતાં ચકચાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો