સુરતના જાણીતા હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઉપદેશ રાણા પોતે હૈદરાબાદમાં હતા. આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ઘટનાની વિગતો અનુસાર, ઉપદેશ રાણાએ પોતાની કાર રિપેરિંગ માટે ગોડાદરા વિસ્તારમાં આવેલા ખેતપાલના ગેરેજમાં મૂકી હતી. ગઈકાલે, એટલે કે 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રિના 8:30 થી 9:20 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સોએ ગેરેજ પાસે પાર્ક કરેલી કાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કારના કાચ અને અન્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું છે.
હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ
ઉપદેશ રાણાએ જણાવ્યું કે, "હું હૈદરાબાદમાં હોવાથી મને ગેરેજ માલિક દ્વારા આ ઘટનાની જાણ થઈ હતી. તેમણે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મેં પણ તેમને તમામ જરૂરી સહકાર આપવાની ખાતરી આપી છે." આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની શરૂઆત કરી છે જેથી હુમલાખોરોને ઓળખી શકાય અને તેમને ઝડપી પાડી શકાય.













