સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કરૂણ ઘટના સામે આવી છે. કડોદરાના સ્થાનિક ભાજપના મહિલા આગેવાનના પુત્રની પત્ની નિધિએ લગ્નના માત્ર બે જ વર્ષના ગાળામાં કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા

ઘટનાની જાણ થતાં જ પોલીસે મૃતેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્વીચ ઓફ થયેલી જિંદગી પાછળનું કારણ શોધવા પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી, તેવામાં પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબોને મૃતક નિધિના આંતરવસ્ત્રોમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ કરતી વખતે ડોક્ટરોને મૃતકના આંતરવસ્ત્રમાંથી આ અંતિમ ચિઠ્ઠી મળી આવતાં તેમણે ત્વરિત કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સુસાઇડ નોટ કબ્જે કરીને તેની તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટ અને પોલીસ તપાસના મુખ્ય ખુલાસા

સુસાઇડ નોટમાં મૃતક નિધિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિના અન્ય એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો (અફેર) હતા, જેનાથી ત્રસ્ત થઈને તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. પરિણિતાને ડર હતો કે તેની આત્મહત્યા બાદ સાસરિયાંઓ આ સુસાઇડ નોટ કે અન્ય પુરાવાઓ સળગાવી અથવા નાશ કરી દેશે, જેથી તેણે નોટ પોતાના આંતરવસ્ત્રમાં સુરક્ષિત મૂકી દીધી હતી જેથી પીએમ વખતે તે તબીબોના હાથે જ મળે.કડોદરા પોલીસે સુસાઇડ નોટને એફએસએલ (FSL) મોકલવાની તજવીજ હાથ ધરી છે અને પતિ સહિતના સાસરિયાઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી