સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આવેલી અંબરવિલા સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળું મારીને ઘરની બહાર કોઈ કામકાજ અર્થે ગયો હતો. બંધ મકાન અને સુમસામ વાતાવરણનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ આ ઘરને ચોરી માટે નિશાન બનાવ્યું હતું.
લોક તોડી ઘરમાં ઘૂસ્યા અને કબાટ ફેંદી નાખ્યા
મકાન માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ સૌપ્રથમ મુખ્ય રૂમના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ચોરી કરવા માટે તમામ રૂમમાં કબાટ અને ડ્રોવરના લોક તોડી નાખ્યા હતા. સમગ્ર ઘરમાં સરસામાન વેરવિખેર કરી તસ્કરોએ કબાટના ખાના ફેંદી મારી કિંમતી સામાનની શોધખોળ કરી હતી.

1.80 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરાયા
કબાટના લોક તોડ્યા બાદ તસ્કરોના હાથમાં મોટી રકમ અને દાગીના લાગ્યા હતા. તસ્કરોએ કબાટમાં મૂકેલા 1.80 લાખ રૂપિયા રોકડા તેમજ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી. રોકડ અને સોનાના દાગીના મળીને તસ્કરો કુલ 2.36 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તૂટેલા લોક અને વિખરાયેલો સામાન જોઈને ચોંકી ઉઠ્યા હતા.

કામરેજ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ મકાન માલિક દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ મળતા જ કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...