સુરતના બહુચર્ચિત 'નક્ષત્ર સેફ વોલ્ટ' કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન વધુ ત્રણ વ્યક્તિઓના કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની હકીકત સામે આવી છે. પીડિત ગ્રાહકોના આક્ષેપ મુજબ, વોલ્ટમાંથી અંદાજે રૂ. 78 લાખની મત્તાના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ નવા ખુલાસાને પગલે સેફ વોલ્ટમાં વિશ્વાસ રાખીને કિંમતી સામાન મુકનાર અન્ય ગ્રાહકોમાં પણ ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ

નક્ષત્ર સેફ હાઉસ ચોરી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવતા ચોરીનું સોનું ખરીદનાર બે સોની વેપારી કૌશલ સુપેડા અને મિતેશ પારેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બે સોનીઓની અટકાયત સાથે જ આ ચર્ચાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે.

આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યા

બીજી તરફ, ચોરીની આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યા છે અને તેમણે પોતાના દાગીના ચોરાયા હોવાની નવી ફરિયાદો નોંધાવી છે. વધુ ફરિયાદો ઉમેરાતા સેફ હાઉસમાંથી થયેલી ચોરીનો કુલ આંકડો હવે રૂ. 3.49 કરોડની ટોચ પર પહોંચી ગયો છે. પોલીસ દ્વારા સોનાની રિકવરી અને કૌભાંડમાં સામેલ અન્ય શખ્સોની સંડોવણી અંગે આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં નવો ખુલાસો, વધુ 3 લોકોના દાગીનાની ચોરી...