સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી મત્સ્ય માર્કેટ (ફિશ માર્કેટ)ના મુખ્ય પ્રવેશદ્વાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનું બોર્ડ લગાવાતાં સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માર્કેટનું નામ 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' રાખવા અંગે સ્થાનિકો અને માછી સમાજના જૂથો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો.

વિવાદિત બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયું

મીડિયામાં આ અંગેના સમાચારો વાયરલ અને પ્રસિદ્ધ થયા બાદ તંત્ર તથા એસોસિએશન હરકતમાં આવ્યું હતું અને આખરે વિવાદિત બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ માર્કેટ એસોસિએશને સત્તાવાર નામીકરણની મંજૂરી મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.

સમર્થનમાં આગેવાન હિતેશભાઈ મૈસૂરિયાનું નિવેદન

આ નામીકરણ મુદ્દે માછી સમાજના સ્થાનિક આગેવાનોમાં બે અલગ-અલગ મતો સામે આવ્યા છે: માછી સમાજના આગેવાન હિતેશભાઈ મૈસૂરિયાએ નામીકરણનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને માછીમારોના કલ્યાણ માટે અસંખ્ય યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. માછીમારોનો વ્યવસાય જ મત્સ્ય ઉદ્યોગ પર ટકેલો છે, તેથી જો ફિશ માર્કેટનું નામ 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' રાખવામાં આવે તો તેમાં કંઈ જ ખોટું નથી."

વિરોધમાં આગેવાન સુરેન્દ્રનાથ લશ્કરીનું નિવેદન

બીજી તરફ સમાજના અન્ય આગેવાન સુરેન્દ્રનાથ લશ્કરીએ તીવ્ર વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે, "અમારી મૂળ માંગણી એ હતી કે માર્કેટને 'કહાર માછી સમાજ ફિશ માર્કેટ' નામ આપવામાં આવે. પરંતુ એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈ નવસારીવાલાએ પોતાની જીદ પૂરી કરવા માટે આ નામ આપી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુસ્ત શાકાહારી છે અને વૈશ્વિક સ્તરે તેમનું મોટું નામ છે, તેથી ફિશ માર્કેટ સાથે તેમનું નામ જોડવું તે બિલકુલ યોગ્ય નથી."

આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને તંત્ર એલર્ટ, 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર