સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી નવી માછીવાડ ફિશ માર્કેટના નામકરણને લઈને નવો વિવાદ ઊભો થયો છે. મનપાની કોઈપણ નીતિ-રીતિ કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ આ નવી ફિશ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' લખેલું મોટું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.
માછીવાડ ફિશ માર્કેટના નામકરણ મામલે ભારે વિવાદ
નિયમ મુજબ સુરત મહાનગરપાલિકાની કોઈપણ જાહેર મિલકત, બ્રિજ, રોડ કે માર્કેટનું નામકરણ કરવા માટે મનપાની સાંસ્કૃતિક સમિતિ અને સામાન્ય સભા (બોર્ડ)માં ઠરાવ પસાર કરવો પડે છે. પરંતુ આ કેસમાં શાસક પક્ષ કે પાલિકા તંત્રની જાણ બહાર જ બારોબાર નામકરણ કરી દેવામાં આવતાં વિપક્ષ અને સામાન્ય નાગરિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.તપાસમાં સામે આવ્યું છે કે આ બોર્ડ સ્થાનિક વેપારી મંડળ 'ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન' દ્વારા લગાવવામાં આવ્યું હતું. શાકાહારી જીવનશૈલી ધરાવતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ ફિશ માર્કેટ જેવા નોન-વેજ વેચાણના સ્થળ માટે કરવામાં આવતાં ભાજપના જ સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં પણ ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.
