સુરત શહેરમાં અસામાજિક અને બેદરકાર મિલ માલિકો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ ઉધના વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવ્યા બાદ, હવે પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરસાદી પાણીની આડમાં મિલોમાંથી પ્રોસેસ કર્યા વગરનું અત્યંત ઝેરી અને કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવી રહ્યું છે.

ડ્રેનેજમાંથી જાણે લાવા નીકળતો હોય તેવો ઘાટો લાલ રંગ

પાંડેસરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાંથી વહી રહેલું પાણી જોઈને સ્થાનિકો પણ દંગ રહી ગયા હતા. ડ્રેનેજ લાઈનમાંથી એટલા ઘાટા લાલ રંગનું પાણી નીકળી રહ્યું હતું કે, જાણે જ્વાળામુખીમાંથી લાલચટક દ્રવ્ય કે લાવા બહાર નીકળી રહ્યો હોય તેવો ભાસ થતો હતો. મિલો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર વરસાદનો ફાયદો ઉઠાવીને આ રીતે ઝેરી કેમિકલ છોડીને વિસ્તારના પર્યાવરણ અને જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2079851239576322112

GPCB કચેરીથી માત્ર 500 મીટર દૂર જ ઘોર બેદરકારી

સૌથી વધુ આશ્ચર્યજનક અને શરમજનક બાબત તો એ છે કે, આ દ્રશ્યો ગુજકાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાનિક કચેરીથી માત્ર 500 મીટરના અંતરે સામે આવ્યા છે. તંત્રની નાક નીચે જ મિલ માલિકો દ્વારા બિનધાસ્તપણે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી અધિકારીઓની કામગીરી અને રહસ્યમય મૌન સામે પણ સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, GPCB આ મિલ માલિકો સામે કોઈ સખત પગલાં ભરે છે કે, પછી કાગળ પર જ કાર્યવાહી સીમિત રહે છે.


આ પણ વાંચો - Surat News: ઝાંપા બજારમાં જર્જરિત મકાન અચાનક ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી