સુરતની મેડિકલ કોલેજના રેસિડન્ટ ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે.જેમાં જાણવા મળ્યું છે કે આપઘાત કરતાં પહેલાં તેમણે સીનિયરોના ત્રાસ અને રેગિંગ અંગેની સત્તાવાર ફરિયાદ કરી હતી.ડૉ.હર્ષ પંડ્યા પોતાની ફરિયાદ લઈને ડૉ.સુમૈયા મુલ્લા પાસે ગયા હતા પરંતુ તેઓ ન મળતાં તેમણે ડૉ.સંગીતા રાજદેવને આ મામલે રજૂઆત કરી હતી.અત્યંત ગંભીર બાબત એ છે કે ફરિયાદ કર્યાના એક દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે નિરાશ થઈને ડૉ.હર્ષ પંડ્યાએ મોતનો માર્ગ પસંદ કરી આપઘાત કરી લીધો હતો.આ ખુલાસા બાદ હવે તંત્રની ઘોર બેદરકારી સામે આવતાં ડૉ.સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કવાયત અને તજવીજ હાથ ધરવામાં આવી છે.

તપાસના ફાઈનલ રિપોર્ટ સામે ગંભીર સવાલો

સુરતના ચર્ચાસપદ ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસની તપાસના ફાઈનલ રિપોર્ટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.જેમાં સંવેદનશીલ માહિતીઓ દબાવીને રેગિંગના કારણે આપઘાત થયો હોવાનો કોઈ જ ઉલ્લેખ ન કરાયો હોવાનો આરોપ લાગ્યો છે.ડૉ. હર્ષ પંડ્યાના પિતાએ પણ આ રિપોર્ટ સામે વિરોધ નોંધાવ્યો છે જ્યારે 30 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરોએ રૂપિયા 40 લાખના બોન્ડનો ઈશ્યુ ના હોત તો વિભાગ છોડી દીધો હોત તેવું લેખિતમાં આપ્યું હોવા છતાં આ મહત્વપૂર્ણ બાબતનો ફાઈનલ રિપોર્ટમાંથી લોપ કરવામાં આવ્યો છે.આ તમામ બાબતો સામે આવ્યા બાદ ફાઈનલ રિપોર્ટમાં HOD અને પ્રોફેસર સહિતના જવાબદારોને બચાવવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે

નવી માર્ગદર્શિકા અનુસાર કોલેજમાં હવેથી જો કોઈ પણ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ સ્કોડ જ નહીં પરંતુ જે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ સીધા જવાબદાર ગણાશે.કોલેજમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતથી રેગિંગ અંગેના કડક નિયમો અને કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટ જાણકારી આપવાની રહેશે.જો કોઈ વિદ્યાર્થી તરફથી રેગિંગ અંગેની નાની સરખી પણ ફરિયાદ મળે તો કોલેજ તંત્રે તેના પર તાત્કાલિક અસરથી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.ફરિયાદ કરનાર પીડિત વિદ્યાર્થી કે સાક્ષી આપનાર સાથી વિદ્યાર્થી સાથે ભવિષ્યમાં કોઈ બદલાની ભાવના કે પ્રતિકારની ઘટના ન બને તેની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે.

આ પણ વાંચોઃSurat News: કોઈ વિદ્યાર્થીનું રેગીંગ થશે તો એન્ટી રેગિંગ સ્કોડની સાથે HOD પણ જવાબદાર રહેશે