કુદરતી આફત ક્યારેય કોઈનો ભેદભાવ રાખતી નથી, તેનો જીવતો-જાગતો દાખલો સુરતમાં જોવા મળ્યો છે. સુરત શહેરમાં ખાડીપૂરના પાણીએ હજારો સોસાયટીઓ અને લાખો લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ કપરા સમયે લોકોને પૂરના પાણીમાંથી હેમખેમ બહાર કાઢવા અને ફૂડ પેકેટો પહોંચાડવા માટે સુરત મનપાનું ફાયર વિભાગ સતત કાર્યરત હતું. પરંતુ, આ બચાવ કામગીરીની વ્યસ્તતા વચ્ચે તંત્રને એ વાતની ભનક પણ ન રહી કે તેમનું પોતાનું જ સરથાણા ફાયર સ્ટેશન પૂરના પાણીમાં આખેઆખું ગરકાવ થઈ ચૂક્યું છે.
રથાણા ફાયર સ્ટેશન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા
સરથાણા ફાયર સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અને ખાડીપૂરના પાણીનો ત્વરિત ભરાવો થતાં, જોતજોતામાં સ્ટેશનમાં 6 થી 7 ફૂટ સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા. આ ભયાનક પૂરના કારણે કમ્પાઉન્ડમાં પડેલા ફાયર બ્રિગેડના જ 10 થી 15 ભારે કોમર્શિયલ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સૌથી મોટી આફત તો ત્યારે આવી જ્યારે સ્ટેશનની જીવાદોરી સમાન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાવાને કારણે અતિ મહત્વના સરકારી દસ્તાવેજો, એન્ટ્રી રજિસ્ટરો અને ઓફિસ ફાઇલો સંપૂર્ણપણે પાણીમાં પલળી ગઈ હતી.
