સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ન ઉંચકે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાયા ખોદવાના કારણે અથવા મટીરિયલ મિક્સિંગ માટે રાખવામાં આવતા પાણીના કૂંડા અને ખુલ્લા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ સ્થિર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી અને મલેરિયાના એનોફિલિસ મચ્છરો ખૂબ જ ઝડપથી ઇંડા મૂકે છે, જે આસપાસના સમગ્ર રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.
સુરત મનપાનો બિલ્ડરો પર મોટો કોરડો
આ બાબતની ગંભીરતાને સમજી SMC ની મેલેરિયા વિભાગની જુદી-જુદી ટીમોએ કતારગામ, વરાછા, રાંદેર, અને ઉધના સહિતના તમામ ઝોનમાં આવેલી બાંધકામ સાઇટો પર આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 120 જેટલા પ્રોજેક્ટ્સ પર મચ્છરોના જીવંત બ્રીડિંગ જોવા મળ્યા હતા, જેને જંતુનાશક દવાઓ છાંટી તુરંત નાશ કરાયો હતો. પ્રશાસને નમૂના લઈ તમામ સાઇટ મેનેજરોને નોટિસ પાઠવી સ્થળ પર જ કુલ 2.35 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
