સુરત શહેરમાં ગત દિવસોમાં ખાબકેલા ભારે વરસાદ અને વહીવટી તંત્રના નબળા આયોજનના કારણે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સોસાયટીઓ, મુખ્ય માર્ગો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યા બાદ નાગરિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ અને સામાન્ય જનતાના આ પ્રચંડ વિરોધ અને પોતાની નિષ્ફળતા પર પડદો પાડવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાનનો દેખાડો શરૂ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
400 ટન કચરો અને મશીનરીનો મોટો કાફલો
પૂરના ગંદા પાણી જેમ-જેમ ઓસરી રહ્યા છે, તેમ-તેમ રસ્તાઓ પર ટનબંધ કચરો, પ્લાસ્ટિક અને દુર્ગંધ મારતો કાદવ જમા થઈ ગયો છે. આ ગંદકીને દૂર કરવા માટે એસએમસી (SMC) દ્વારા એક જ દિવસમાં 400 ટન જેટલો કચરો ઉપાડવામાં આવ્યો હોવાનો સત્તાવાર દાવો કરાયો છે. આ કામગીરીને અંજામ આપવા માટે પાલિકાએ શહેરના અલગ-અલગ ઝોનમાં થઈને કુલ 7,000જેટલા સફાઈ કામદારોને રસ્તા પર ઉતારી દીધા છે. આ ઉપરાંત જેસીબી, ડમ્પર અને કાદવ ખેંચવાના મશીનો સહિત ૨૩૪ જેટલી ભારે મશીનરીઓ સતત દોડતી કરવામાં આવી છે.
