સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઆગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ શહેરમાંથી પાણી કેમ નથી ઓસર્યા, તે મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ પર અત્યંત ગુસ્સે થયા હતા અને તેમનો જોરદાર ઉધડો લીધો હતો.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરો
સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની નબળી પ્રિ-મોન્સૂન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ભાજપના જ વરિષ્ઠ ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ વહીવટી તંત્ર પર પ્રહારો કરતા કહ્યું કે, "અધિકારીઓની નિષ્ફળતાને કારણે જ આજે સુરતની આ સ્થિતિ થઈ છે." જ્યારે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે 18 ઇંચ જેટલા અતિભારે વરસાદે સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે.

શુક્રવારે સાંજ સુધી કેશડોલ ચૂકવાશે
આ હાઈપ્રોફાઈલ બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા તમામ અસરગ્રસ્તોને આવતીકાલ સાંજ સુધીમાં 'કેશડોલ' (રોકડ સહાય) ચૂકવી દેવાનો વહીવટી તંત્રને કડક આદેશ કરાયો છે.
https://twitter.com/sandeshnews/status/2075144722117738515
500 કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત
આ ઉપરાંત ભવિષ્યમાં સુરતવાસીઓને ક્યારેય ખાડી પૂરનો સામનો ન કરવો પડે તે માટે કાયમી ધોરણે મોટું વૈજ્ઞાનિક આયોજન કરવામાં આવશે, જેના માટે સરકારે તાત્કાલિક રૂ. 500 કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ સંકટની આ ઘડીમાં એકબીજાની વહારે આવેલા સુરતીઓના સેવાભાવના પણ વખાણ કર્યા હતા અને ખાતરી આપી હતી કે જનતાને હેરાન કરનારા બેજવાબદાર અધિકારીઓને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં આવે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં