સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઓસરતાની સાથે જ હવે તબાહી અને બરબાદીના બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે. ખાડીના જળસ્તરમાં ઘટાડો થતાં સ્થાનિક રહીશોએ પૂરના ભયમાંથી આંશિક રાહત ચોક્કસ મેળવી છે, પરંતુ પૂર પાછળ મૂકી ગયેલી ગંદકીએ લોકોની મુશ્કેલીઓ અસાધારણ રીતે વધારી દીધી છે. પૂરના પાણી ઉતરતા જ રસ્તાઓ ઉપર અને હજારો ઘરોમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.
લીંબાયત ઝોનમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર
શહેરના વિવિધ વિસ્તારો પૈકી લીંબાયત ઝોનમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર અને ચિંતાજનક જોવા મળી રહી છે. અહીં લોકોના ઘરોમાં ખાડીના ગંદા પાણી સાથે વહી આવેલો કાદવ જમા થઈ ગયો છે, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.
વાહનોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ
આ ઉપરાંત, પૂરના પાણીમાં સેંકડો દ્વિચક્રી અને ફોર-વ્હીલર વાહનો ડૂબી જવાને કારણે વાહનોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે સૌથી મોટો પડકાર છે.
વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતર્યું
આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે. રોડ પરથી કાદવ હટાવવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
સ્થાનિક રહીશોએ સફાઇ આદરી
સ્થાનિક રહીશો પણ પોતાના આશિયાનાને ફરીથી રહેવા લાયક બનાવવા માટે દિવસ-રાત સફાઈમાં જોતરાયા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી કેટલાક કલાકોમાં તમામ મુખ્ય માર્ગો સફાઈ કરીને પૂર્વવત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં