સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ફાળવવામાં આવેલા સરકારી મકાનોમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. અગાઉ આવાસ મેળવીને તેને ગેરકાયદેસર રીતે ભાડે આપી દેનારા ભાડૂતો અને મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ, હવે તંત્ર દ્વારા ખોટી રીતે મકાન મેળવનારા મૂળ માલિકો પર જ તવાઈ બોલાવવાની પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ખોટા દસ્તાવેજોથી એકથી વધુ આવાસ મેળવ્યાનો પર્દાફાશ

એક તરફ સુરત શહેરમાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે વર્ષોથી પ્રતીક્ષા યાદી (વેટિંગ લિસ્ટ) માં રાહ જોઈને બેઠા છે, ત્યારે બીજી તરફ કેટલાક ચાલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એકથી વધુ આવાસ પચાવી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન પતિ અને પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ મેળવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટી ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર

આ ગંભીર બાબત ધ્યાને આવતાં જ સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિગ્વિજયસિંહ બારડ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને એક સત્તાવાર લેખિત પત્ર પાઠવીને સુરત શહેરમાં આવાસ મેળવનારા તમામ લાભાર્થીઓની ઝીણવટભરી અને ઝોનવાર (Zone-wise) સઘન ચકાસણી કરવાની કડક માંગણી કરી છે. SMC ના આ આકરા પગલાંથી ખોટા દસ્તાવેજો બનાવી આવાસ હડપ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabadના જમાલપુરમાં AMC નું મોટું ડિમોલેશન, પરવાનગી વિના ચાલતું ગેરકાયદે બાંધકામ કરાયું જમીનદોસ્ત