સુરતમાં છેલ્લા 15 દિવસમાં બીજી વાર આવેલા ખાડી પૂર અને અતિભારે વરસાદના કારણે વધુ બે લોકોના મોત નીપજ્યા છે, જેને પગલે છેલ્લા બે દિવસમાં જ પૂરના કારણે મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે.જેમાં પાલનપોર કેનાલ રોડ પર આવેલા હળપતિ વાસ નજીક પાણીથી ભરેલા એક ખાડામાંથી 80 વર્ષના વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે કાંઠે વહેતી ખાડીમાં એક યુવકની લાશ તરતી જોવા મળતાં ભારે ચકચાર મચી ગઈ હતી. શહેરમાં છેલ્લા એક મહિનામાં ખાડીપુરના કારણે 28થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. 

ખાડીપૂરના કારણે વધુ એક ભયાનક તારાજીના દ્રશ્યો

સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આવી જોખમી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાડીઓ, નદીઓ અને નાળાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.ખાડીપૂરના કારણે વધુ એક ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કમરુનગર અને મીઠી ખાડી વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયો છે. 

લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર 

કમરુનગરમાં પૂરોના પાણી ફરી વળતાં હજારો બાઇકો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને આ તારાજીના ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. પૂરની વિકટ સ્થિતિ દર્શાવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. બમરોલી ગામ ફરી એકવાર ખાડીપૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે.ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જવાથી બહાર અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની છે જેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ ખાડીપૂરના લીધે બીજી વખત આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર બ્રિજ બંધ કરીને સંતોષ માની લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ગુરૂકુળ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન, ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં