: દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિકાસ કાર્યોના પ્રચાર-પ્રસાર માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે આજે સુરતના સાયન્સ સેન્ટર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ વિશેષ ઉપસ્થિત રહીને સુરતના પ્રબુદ્ધ નાગરિકો અને પક્ષના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. મંત્રીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ ગુજરાત અને સુરતની જનતાનો આભાર માનતા વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરી હતી.
ગુજરાત મોડલ જ કેન્દ્ર સરકારનો પાયો
કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાને તમામ સાંસદો અને કેન્દ્રીય નેતાઓને જનતાની વચ્ચે જઈને છેલ્લા 12 વર્ષમાં થયેલા ઐતિહાસિક કાર્યોનો હિસાબ આપવાની જવાબદારી સોંપી છે. તેમણે હસતાં હસતાં એક રસપ્રદ વાત કહી કે, "જ્યારે પણ દેશમાં આવા મોટા સંગઠનાત્મક કે સરકારી કાર્યો સોંપવાના હોય છે, ત્યારે પક્ષ મને દર વખતે ગુજરાતની ધરતી પર જ મોકલે છે, જે મારા માટે સૌભાગ્યની વાત છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2014માં દેશની જનતાએ કેન્દ્રમાં ભાજપને જે પ્રચંડ બહુમતી આપી હતી, તેની પાછળનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કરેલું 'ગુજરાત મોડલ' અને અહીનો અપ્રતિમ વિકાસ હતો.










