સુરત શહેરના ગીચ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા વિજય કુશવાહના પરિવારની ધોરણ 5 માં અભ્યાસ કરતી માસૂમ દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.

સુરતના વરાછામાં અત્યંત દુઃખદ ઘટના

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય કુશવાહને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. રોજિંદા ક્રમ મુજબ વિજયભાઈ અને તેમના પત્ની પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને ચારેય બાળકો ઘરે જ હાજર હતા. સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનો સમય થયો હોવાથી માતા તેઓને મૂકવા માટે ઘરે આવ્યા હતા. પરંતુ ઘરે આવીને જોતાં ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. માતાએ વારંવાર બૂમો પાડવા છતાં અને દરવાજો ખટખટાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના પાડોશીઓને ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.

ધોરણ 5 માં ભણતી 11 વર્ષની બાળકીએ કર્યો આપઘાત

અંદર જઈને જોતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માસૂમ દીકરી ઘરમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર અર્થે લઈ જવાની તજવીજ કરાઈ હતી, પરંતુ તે પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આટલી નાની પબ્લિક અને કૂમળી વયની બાળકીએ કયા સંજોગોમાં કે શા માટે આટલું આકરું અને અંતિમ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

માસૂમ દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો!

ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકીના આપઘાત પાછળ કોઈ માનસિક તણાવ, અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં વરાછા પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: Gir Somnath: શ્રાવણમાં સોમનાથ તીર્થે દર્શનાર્થીઓનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન