સુરત શહેરના અત્યંત ગીચ અને વ્યસ્ત એવા વરાછા વિસ્તારમાં આવેલા શણગાર પેલેસમાં આજે એક ગભરાટ ભરી ઘટના સામે આવી છે. શણગાર પેલેસના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક મુખ્ય દરવાજાનું જૂનું લોક જામ થઈ ગયું હતું. લોક જામ થઈ જવાના કારણે ઘરની અંદર હાજર એક જ પરિવારના ૬ સભ્યો અંદર કેદ થઈ ગયા હતા.

સુરતમાં ફાયર બ્રિગેડનું ઝડપી રેસ્ક્યુ ઓપરેશન

ચોથા માળે દરવાજો બહારથી કે અંદરથી ન ખૂલતાં પરિવારજનોમાં ભારે ફફડાટ અને અસ્વસ્થતા ફેલાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતાં આસપાસના પાડોશીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ દરવાજો ખોલવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ લોક જૂનું અને ખરાબ રીતે જામ થઈ ગયું હોવાથી તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા.

વરાછાના શણગાર પેલેસમાં ચોથા માળે ફ્લેટનું લોક અચાનક જામ

પરિસ્થિતિની ગંભીરતા જોઈને સ્થાનિકોએ મોડું કર્યા વિના તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરી હતી. કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતાં જ નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોની ટીમ જરૂરી સાધનો સાથે શણગાર પેલેસ ખાતે દોડી આવી હતી.

એક જ પરિવારના 6 સભ્યો ઘરમાં કેદ

ફાયર બ્રિગેડની ટીમે વિલંબ કર્યા વગર ખાસ સાધનો (ડોર ઓપનર અને કટર) ની મદદથી દરવાજાનું જામ થયેલું લોક તોડી પાડ્યું હતું. ફાયર ટીમે માત્ર ૧૦ થી ૧૫ મિનિટના ટૂંકા ગાળામાં સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઘરમાં ફસાયેલા પરિવારના તમામ ૬ સભ્યોને સુરક્ષિત અને હેમખેમ બહાર કાઢવામાં આવતાં પરિવારજનો તેમજ પાડોશીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર ટીમની કામગીરીની સરાહના કરી હતી.

આ પણ વાંચો: Palanpur: સામાન્ય વરસાદમાં જહાનારા બાગ રસ્તા પર મસમોટો ભુવો પડ્યો, એક તરફનો માર્ગ બંધ કરાયો