બનાસકાંઠાના થરાદ તાલુકામાં એક ગંભીર અને રહસ્યમય ઘટના સામે આવી છે. થરાદના ડોડગામ ગામની સીમમાં આવેલા રોડની બાજુમાંથી બે અજાણ્યા યુવકોના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાએ પોલીસ માટે પણ એક મોટો પડકાર ઉભો કર્યો છે. ગામના કેટલાક લોકોએ રોડ પાસેથી પસાર થતી વખતે દુર્ગંધ આવતા તપાસ કરતા બે મૃતદેહ જોયા હતા.


મૃતદેહની ઓળખ કરવી બની મુશ્કેલ 

મૃતદેહ કોહવાઈ ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આ બનાવની જાણ થતાં જ થરાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે હાલ તો અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ યુવકો કોણ છે અને તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા? પોલીસે આસપાસના ગામોમાં અને પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા લોકોની માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

જેથી મૃતકોની ઓળખ થઈ શકે. આ મૃતદેહો અહીં કેવી રીતે આવ્યા અને શું આ કોઈ હત્યાનો કેસ છે તે અંગે પણ પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. મૃતદેહની હાલત જોતા એવું લાગે છે કે તેઓને અહીં ઘણા દિવસો પહેલા છોડી દેવામાં આવ્યા હશે. આ ઘટનાએ ડોડગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી મૃત્યુનું સાચું કારણ અને સમય જાણી શકાશે. 


  • Follow us on: