આપણા સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુઃખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે આવેલી ઘટના લાગણીઓના અતિરેકની એક એવી દર્દનાક દાસ્તાન છે જે કોઈ પણ પાષાણ હૃદયના માણસને રડાવી દે. વડોદરામાં રહીને મકરપુરા જીઆઇડીસી (GIDC) માં ખાનગી નોકરી કરી પોતાનું પેટ ભરી રહેલા બે પરપ્રાંતીય યુવાનો એક આકસ્મિક આઘાત સામે જિંદગીની જંગ હારી ગયા છે.
11 જૂન રવિશંકરનું ટ્રેન નીચે કૂદીને આત્મબલિદાન
મૂળ બિહારનો વતની રવિશંકર રાજેશકુમાર પ્રસાદ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDC માં ફાઈટર તરીકે ફરજ બજાવતો હતો. ગત ૧૧ જૂનના રોજ રવિશંકરને વતન બિહારથી એક અત્યંત માઠા સમાચાર મળ્યા કે, ત્યાં રહેતા તેના એક ખૂબ જ નજીકના બાળપણના મિત્રએ કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ઊંડા માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રનો ફોટો શેર કરીને એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો અને સ્ટેટસમાં લખ્યું, "મેં તેરે પાસ આ રહા હું..." (હું તારી પાસે આવી રહ્યો છું). સ્ટેટસ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ વ્યથિત રવિશંકરે મકરપુરા રેલવે સ્ટેશન પાસે ધસી આવતી ટ્રેન સામે કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. રેલવે પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.










