નેપાળ અને તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે.નેપાળ સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કુલ 644 લોકોમાંથી ભારતના 178 નાગરિકો હજુ પણ મિસિંગ છે. આ દુર્ઘટનામાં 175થી વધુ લોકોના મોત થયા છે.આ આફતમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુના 80 ભક્તો પણ તિબેટના ગૈરોંગમાં લાપતા થયા છે. આ ગંભીર સ્થિતિને જોતાં નેપાળ દૂતાવાસે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.નેપાળમાં ભૂસ્ખલન અને પૂર વચ્ચે જે ગાઈડે મુશ્કેલીના સમયમાં પ્રવાસીઓને પરિવારની જેમ સાચવ્યા આજે તેના નિધનના સમાચારથી પ્રવાસીઓ ભાવુક બન્યા છે. સમગ્ર ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓએ પણ ભયાનક આપવીતી વર્ણવી છે
એક દોઢ ફૂટનો પથ્થર ઉપરથી પડતો હતો
નેપાળ પ્રવાસે ગયેલા સુધા ગોસ્વામીએ કહ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે વરસાદ હતો પણ આટલો બધો હશે એવું ખબર નહોતી. અમને એમ કે સીઝન છે એટલે વરસાદ છે. ટિમુરે પહોંચતા રસ્તામાં મારી સાથે એક એવી ઘટના થઈ કે એક બાજુ નદી હતી અને વચ્ચે એક બસ જાય એટલો જ સાંકડો રસ્તો હતો.એક બાજુ પહાડ પરથી પથ્થર પડતા હતા.તો વચ્ચે કીચડમાંથી થઈને ચાલીને જવાનું હતું કારણ કે આગળ વાહન જઈ શકે એવું નહોતું.એટલે હું ચાલતી હતી ને ઉપરથી જોયું કે એક દોઢ ફૂટનો પથ્થર ઉપરથી પડતો હતો.પણ જો ચાલીને જઉં તો ત્યાં કીચડમાં હું ફસાઈ જાત કાં તો પછી નદીમાં જાત. પણ એ બાજુ પથ્થર જોવામાં બીજો એક પથ્થર ગયો અને રીતસર મારા પગની એકદમ ટચ થઈને ગયો. પણ ખબર નહીં ભગવાને કદાચ મને બચાવી.ત્યારે મારા દિલના ધબકારા નહોતા વધ્યા જેટલા આ સમાચાર સાંભળીને હું નર્વસ થઈ ગઈ છું.હું લગભગ અમદાવાદની ફ્લાઇટમાં બેઠીને ત્યારે મેં ન્યૂઝ જોયા કે ત્યાં વિનાશક પૂર આવ્યું છે ત્યારે હું એકદમ ડાઉન થઈ ગઈ હતી. ઘરે આવ્યા બાદ પણ મારી ઊંઘ અને ભૂખ બંને જાણે છે જ નહીં એવું લાગી રહ્યું છે.
