વડોદરા શહેરના રિયલ એસ્ટેટ અને બિલ્ડર વર્તુળોમાં ભારે ચકચાર જગાવનાર પાનસુરીયા બંધુઓની સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત બન્યો છે. પાનસુરીયા પરિવારના ૫ સભ્યો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે રૂ. 33.96કરોડની મંજૂરી વિનાની વેચાણ પ્રક્રિયા અને છેતરપિંડી અંગે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાનસુરીયા બંધુઓની મુશ્કેલીમાં મોટો વધારો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાનસુરીયા બંધુઓએ એક માન્ય નાણાકીય સંસ્થા પાસેથી પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની પ્રોજેક્ટ લોન મેળવી હતી. જોકે, લોનની શરતો મુજબ પ્રોજેક્ટના યુનિટ્સ વેચતા પહેલા ધિરાણ કરનાર સંસ્થાની પૂર્વ મંજૂરી કે જાણ કરવી ફરજિયાત હતી.લોનની શરતોનો સ્પષ્ટ ભંગ કરીને પાનસુરીયા બંધુઓએ ફરિયાદી નાણાકીય સંસ્થાની જાણ કે મંજૂરી વગર જ પ્રોજેક્ટના 20 યુનિટના સીધા વેચાણ દસ્તાવેજો કરી દીધા હતા, જ્યારે 109 યુનિટના રજિસ્ટર્ડ બાનાખત કરીને ખરીદદારો પાસેથી મોટી રકમ વસૂલ કરી લીધી હતી.

પ્રોજેક્ટના 20 યુનિટના સીધા વેચાણ દસ્તાવેજો કરી દીધા

યુનિટોના વેચાણ અને બાનાખત થકી મળેલી કરોડો રૂપિયાની રકમ પ્રોજેક્ટ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે પોતાના અને પરિવારના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો.હરણી પોલીસે સુરેશ પાનસુરીયા, મનીષ પાનસુરીયા, પ્રવીણ પાનસુરીયા, કિશોર પાનસુરીયા અને રવિ પાનસુરીયા સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સુરેશ પાનસુરીયા અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હરણી પોલીસે સમગ્ર કૌભાંડમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજો એકત્રિત કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodaraના કરજણ નેશનલ હાઈવે 48 પર બામણગામ પાસે ટ્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત