વડોદરા જિલ્લાના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા શિનોર તાલુકાના પુનિયાદ ગામે આજે એક રાષ્ટ્રીય કક્ષાની સામાજિક ખોટ અનુભવી છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતું અને જનસંઘના નામે માત્ર ગણ્યાગાંઠ્યા કાર્યકરો હતા, તે કપરા કાળથી વડોદરા જિલ્લાના ગામડાઓમાં રાષ્ટ્રવાદ અને સંગઠનની વિચારધારાને જીવંત રાખનારા વરિષ્ઠ નેતા ચંદ્રવદન પટેલ (પુનિયાદ) નું અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ શોકસંદેશ જાહેર કરીને સદ્ગતના રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું છે.


પીએમ મોદી સાથેનો દાયકાઓ જૂનો નાતો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સંઘના પ્રચારક અને ત્યારબાદ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે વડોદરા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે આવતા હતા, ત્યારથી તેઓ ચંદ્રવદન પટેલના રાષ્ટ્રપ્રેમ અને વહીવટી કુશળતાથી પ્રભાવિત હતા. વડાપ્રધાને પોતાના આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ચંદ્રવદન પટેલે શિનોર વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગીય ખેડૂતોના હિત માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. સિંચાઈના પાણીની સમસ્યા હોય કે પાક વીમા અને બજાર ભાવોની રજૂઆત, ચંદ્રવદનભાઈ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા હતા અને શિનોર પંથકને કૃષિ ક્ષેત્રે ન્યાય અપાવવા મહત્વની જવાબદારીઓ સંભાળી હતી.

સંગઠનમાં ક્યારેય પદની લાલસા ન રાખી

પુનિયાદ ગામના આ વરિષ્ઠ અગ્રણીએ સંઘ, જનસંઘ અને ભાજપમાં નાનામાં નાના કાર્યકર તરીકે રહીને દાયકાઓ સુધી સક્રિય રહી લોકસેવાની જ્યોત સળગતી રાખી હતી. તેમના અવસાનથી માત્ર પુનિયાદ ગામ કે શિનોર તાલુકો જ નહીં, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લા ભાજપ સંગઠને એક સાચા, નિષ્ઠાવાન અને મૂલ્યનિષ્ઠ માર્ગદર્શક ગુમાવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે તેમની વિદાયથી પક્ષ અને વહીવટી તંત્રમાં ક્યારેય ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પીએમ મોદી અને ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પુણાગામ 'ક્રીએશન પ્લાઝા' માં દુકાનોના નામે 1.61 કરોડ ઓળવી જનાર બિલ્ડર પિન્કેશને ઇકો સેલે દબોચ્યો

  • Follow us on: