ગુજરાતમાં શ્રાવણમાસના તહેવારોની સિઝન જામી છે. રાજ્યમાં સાતમ આઠમના મેળાની મોજ ચાલી રહી છે. ત્યારે વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે લોકોમાં રોષ ફેલાયો છે. તહેવાર ટાણે જ વીજળી ગુલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. વડોદરાના નરસિંહપુરા ગામના રહિશો દ્વારા વીજ કચેરીએ પહોંચીને વિરોધ કરવામાં આવ્યો હતો. તહેવાર ટાણે જ વીજ પુરવઠો ખોરવાતા લોકોએ હોબાળો કર્યો હતો.


અધિકારી હાજર નહીં હોવાથી લોકો રોષે ભરાયા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે વાઘોડિયાના નરસિંહપૂરા ગામના રહીશો વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વાઘોડિયા ખાતેની વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કોઈ અધિકારી હાજર નહીં હોવાથી લોકો રોષે ભરાયા હતાં. લોકોએ સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. તહેવાર ટાણે જ વીજળીના ધાંધિયા થતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. નરસિંહપુરા સહિત આસપાસના ગામોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો.

કચેરીમાં અંધારપટ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી

વીજ કચેરીએ પહોંચેલા લોકોએ ભારે સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. તહેવારો ટાણે જ રાત્રે વીજળી બંધ થઈ જતાં કચેરીમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતાં.નરસિંહપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ લાઈટો ગુલ થઈ ગઈ હતી. ચોમાસાની સિઝનમાં વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. જો લાઈટ નહીં આવે તો કચેરીમાં અંધારપટ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.

  • Follow us on: