વડોદરા મહાનગરપાલિકામાટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાના પાણીના બિલના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વડોદરા મનપા પ્રત્યે ઉદારતા દાખવીને પાનમ યોજનાના પાણીના બિલના વ્યાજ સહિતની કરોડોની રકમ માફ કરવાનો મોટો નિર્ણય લીધો છે.


5233 કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા પાલિકાએ વર્ષો પહેલાં પાનમ યોજનામાંથી શહેરની પ્રજા માટે પાણી લીધું હતું. આ પાણીના વપરાશ પેટે સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા મનપાને વ્યાજ અને પેનલ્ટી સાથે અધધ.. 5233કરોડનું મસમોટું બિલ ફટકારવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ ચૂકવવી પાલિકાની આર્થિક સ્થિતિ માટે અશક્ય સમાન હતી, જેના કારણે છેલ્લા બે દાયકાથી આ મામલે વિવાદ અને વાટાઘાટો ચાલી રહી હતી.

4193 કરોડની માતબર રકમ સંપૂર્ણપણે માફ

આખરે, રાજ્ય સરકારે વડોદરાના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેતા 5233 કરોડના કુલ બિલમાંથી 4193 કરોડની માતબર રકમ સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ સાથે જ બાકી રહેતી મુખ્ય રકમ એટલે કે 1029 કરોડ પણ પાલિકાએ એકસાથે ચૂકવવાની રહેશે નહીં. સરકારે આ રકમ પણ સરળ હપ્તેથી ચૂકવવાની મોટી સવલત કરી આપી છે.

હજારો કરોડનું ભારણ હળવું થયું

સરકારના આ નિર્ણયથી વડોદરા મહાનગરપાલિકાની તિજોરી પરથી હજારો કરોડનું ભારણ હળવું થયું છે. આ મોટી રાહત મળતા જ પાલિકાના શાસકો, અધિકારીઓ અને વડોદરાના કરદાતા નાગરિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. હવે આ બચેલા નાણાં શહેરના અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાશે.


આ પણ વાંચો---    Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ

  • Follow us on: