વાઘોડિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ દંખેડા ગામેથી પસાર થતી દેવ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડી ગયું હતું. સિંચાઈનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવા માટે બનાવેલી આ કેનાલ પૂરના પાણીનો સામાન્ય પ્રવાહ પણ સહન કરી શકી ન હતી અને ક્ષણવારમાં તૂટી પડી હતી. કેનાલમાં ગાબડું પડતાં જ હજારો ગેલન પાણીનો પ્રવાહ આસપાસના સીમ વિસ્તારમાં ધસી ગયો હતો.
માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું
અચાનક આવેલા આ જળબંબાકારને કારણે દંખેડા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મોંઘાદાટ બિયારણ અને ખાતર નાખીને વાવેલો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત કેનાલની બિલકુલ નજીકમાં આવેલા ઇંટોના ભઠ્ઠામાં પણ કેનાલના પાણી ઘૂસી જતાં પકવવા માટે રાખેલી હજારો કાચી ઇંટો પલળીને માટીમાં ફેરવાઈ ગઈ હતી, જેનાથી ભઠ્ઠાના સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.દંખેડા ગામના ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, દેવ સિંચાઈની આ માઇનોર કેનાલનું નિર્માણ માત્ર 4 મહિના અગાઉ જ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી કેનાલ પ્રથમ વરસાદમાં કે ચાર જ મહિનામાં તૂટી જાય તે બાબત જ સીધેસીધી કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.
