વડોદરા શહેરમાં દર વર્ષે દશામા અને ગણેશ વિસર્જન વખતે કુદરતી તળાવોને પ્રદૂષણથી મુક્ત રાખવા માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. આ વર્ષે પણ પાલિકા તંત્ર દ્વારા રૂ. 2.50 કરોડના અંદાજિત ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીની સમીક્ષા કરવા માટે વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ વિઝિટ પર પહોંચ્યા હતા.

વડોદરા પાલિકાનો મોટો નિર્ણય

દર વર્ષે કૃત્રિમ તળાવો બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી પાલિકા હવે આ ખર્ચ બચાવવા કાયમી ઉકેલ તરફ આગળ વધી રહી છે. સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, "શહેરના કુદરતી તળાવો બચી રહે અને તેનું પર્યાવરણ જળવાઈ રહે તે માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરીના કાયમી નિરાકરણ માટે પાલિકા ગંભીરતાથી વિચારી રહી છે."

માટીના ગણેશ સ્થાપિત કરવા અપીલ

પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ ગણેશ મંડળો અને આયોજકો સાથે સતત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. નાગરિકો અને મંડળો વધુમાં વધુ માટીના ગણેશજીની સ્થાપના કરે તે માટે અપીલ કરવામાં આવી છે. દર વર્ષે ટેમ્પરરી તળાવ બનાવવાના બદલે પાલિકાની પોતાની જગ્યાઓમાં જ કાયમી કૃત્રિમ તળાવ નિર્માણ કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar : ભાવનગર દારૂકાંડ બાદ ડીજીપીની લાલ આંખ: રાજ્યભરમાં કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવા આપ્યા આદેશ