કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારા સ્થિત ગોમતી માતા બીચ સામે દરિયામાં માછીમારી અર્થે ગયેલી એક બોટ ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. સાઉદવાડીના રહીશ અને બોટ માલિક શ્રીમતિ રામીબેન નાનજી સોલંકીની 'શિવ ચંદન' (IND-DD-02 - MM198) નામની ફિશિંગ બોટ દરિયામાં અચાનક જળસમાધિ લઈ લેતાં બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ
બોટ ડૂબવાની આ દર્દનાક હોનારત સમયે બોટમાં એક ટંડેલ (કેપ્ટન) અને પાંચ ખલાસીઓ સવાર હતા. સદનસીબે, સમયસૂચકતા અને અન્ય માછીમારોના સહયોગથી હાથ ધરાયેલી કામગીરીના કારણે બોટમાં રહેલા તમામ છ માછીમારોનો આબાદ બચાવ થયો છે. તમામ ટંડેલ અને ખલાસીઓ સંપૂર્ણપણે હેમખેમ હોવાના સમાચાર મળતાં માછીમાર સમાજ અને પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.
