કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારા સ્થિત ગોમતી માતા બીચ સામે દરિયામાં માછીમારી અર્થે ગયેલી એક બોટ ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. સાઉદવાડીના રહીશ અને બોટ માલિક શ્રીમતિ રામીબેન નાનજી સોલંકીની 'શિવ ચંદન' (IND-DD-02 - MM198) નામની ફિશિંગ બોટ દરિયામાં અચાનક જળસમાધિ લઈ લેતાં બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ

બોટ ડૂબવાની આ દર્દનાક હોનારત સમયે બોટમાં એક ટંડેલ (કેપ્ટન) અને પાંચ ખલાસીઓ સવાર હતા. સદનસીબે, સમયસૂચકતા અને અન્ય માછીમારોના સહયોગથી હાથ ધરાયેલી કામગીરીના કારણે બોટમાં રહેલા તમામ છ માછીમારોનો આબાદ બચાવ થયો છે. તમામ ટંડેલ અને ખલાસીઓ સંપૂર્ણપણે હેમખેમ હોવાના સમાચાર મળતાં માછીમાર સમાજ અને પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.

ડ્રેજિંગના અભાવે અકસ્માતોની હારમાળા, તાકીદે કામગીરીની માગ

સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, વણાંકબારા ખાતે લાંબા સમયથી બારાનું ડ્રેજિંગ (દરિયાઈ ગાળ કાઢવાનું કામ) ન થવાને કારણે અવારનવાર બોટ ડૂબી જવાની ઘટનાઓ બનતી રહે છે. દર વર્ષે ડ્રેજિંગના અભાવે માછીમારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. માછીમાર સમુદાયે વહીવટી તંત્ર સમક્ષ આક્રોશ સાથે માગ કરી છે કે અટકેલા ડ્રેજિંગ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકી શકે.

આ પણ વાંચો : Gandhinagar News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીની તૈયારી, ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે