બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાંથી ધોરણ 11 માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિની શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વાવ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શાળાએ જતી અને અભ્યાસ કરતી સગીર દીકરી અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
રાત્રે સૂતી વખતે રહસ્યમય રીતે ગાયબ થઈ સગીરા
પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરા રોજની જેમ પોતાના ઘરે રાત્રિના સમયે સૂતી હતી, તે દરમિયાન અચાનક જ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી. સવારે દીકરી ઘરમાં ન જણાતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં અને સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને કારણે પરિવારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
