અસહ્ય બફારા અને આકરી ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની એન્ટ્રી ખૂબ જ શાનદાર અને ધમાકેદાર રહેવાની છે. જો કે, ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં રાજ્યના લોકોને 22 જૂન સુધી ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જે ગરમીનો અંતિમ રાઉન્ડ સાબિત થશે.


16 જૂનથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ધબડકો

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ૧૬ થી ૨૧ જૂન દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળામાં ભારે પવન, કડાકા-ભડાકા અને તીવ્ર ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ, 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશી જશે. આ વર્ષે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસાની શરૂઆત ખૂબ જ મજબૂત રહેશે.

ધરતીપુત્રો માટે વાવણીના ઉત્તમ સંકેત

ખેડૂતો માટે સૌથી મહત્વની જાહેરાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22 જૂન પછીનો સમયગાળો વાવણી માટે અત્યંત અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન થનારો વરસાદ જમીનને ભેજ આપશે, જેથી ખેડૂતો પોતાના પાકનું વાવણી મુહૂર્ત કરી શકશે. એટલું જ નહીં, ચોમાસાની આ ધમાકેદાર શરૂઆત આગળ વધતાં ૨૯ જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં અનરાધાર અને સારો વરસાદી દોર જોવા મળશે. આ સારા વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવશે અને ઉનાળુ પાકથી સુકાયેલી ધરતી ફરી લીલીછમ બનશે.

આ પણ વાંચો: Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત

  • Follow us on: