બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વહેલી સવારથી જ વાવ અને થરાદ પંથક સહિત બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે સવારથી જ સૂર્યનારાયણ કાળા ડિબાંગ વાદળોની ઓથમાં છુપાઈ ગયા છે અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ અણધાર્યા વાદળછાયા વાતાવરણના કારણે જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
બાજરી અને મગફળીના પાક પર મોટો ખતરો
સ્થાનિક અહેવાલો અનુસાર, હાલમાં બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોનો બાજરી અને મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અથવા લણણીની પ્રક્રિયામાં છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલો પાક ખેતરોમાં તૈયાર પડ્યો છે, ત્યારે જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે. જો આગામી કલાકોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ કે માવઠું પડશે, તો તૈયાર પાક સંપૂર્ણપણે ધોવાઈ જશે અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને વાવ, થરાદ અને ધાનેરાના પંથકમાં આ ચિંતા વધુ ઘેરી બની છે.










