ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનને લઈને બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી જ રાજ્યના હવામાનમાં પલટો આવી જશે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ચોમાસા પહેલા જ વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. આજથી લઈને 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં રોહિણી નક્ષત્રનો તોફાની વરસાદ તૂટી પડવાની સંભાવના છે, જેમાં ધૂળની ડમરીઓ ઉડશે અને તેજ પવન ફૂંકાશે.
8-9 જૂને પૂરની સ્થિતિનું એલર્ટ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, અસલી ચિંતા 8 અને 9 જૂન દરમિયાન છે. આ બે દિવસોમાં જો રાજ્યમાં ભારે વરસાદનું જોર ચાલુ રહ્યું, તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, હિંમતનગર અને અરવલ્લી પંથકમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જ્યાં અઢી ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. જ્યારે વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ પંથકમાં 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે.
