રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્યના 12થી વધુ જિલ્લાઓમાં આવતીકાલે પણ તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ જેવા મુખ્ય શહેરો ઉપરાંત તાપી, આણંદ, છોટાઉદેપુર, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ પંથકમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચનાઓ આપી

રાજ્યમાં સર્જાયેલી સાર્વત્રિક વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આવતીકાલે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે 'રેડ એલર્ટ'ની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવા આદેશ આપ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મીની કોલમ તૈનાત કરી દેવામાં આવી છે. 

16500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

જ્યારે જરૂર પડ્યે એર રેસ્ક્યૂ માટે જામનગર, જોધપુર, વડોદરા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. સમગ્ર તંત્રના આયોજનબદ્ધ અને સાવચેતીપૂર્ણ પગલાંના પરિણામે અત્યાર સુધીમાં 16500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ મુશ્કેલીમાં મુકાયેલા 41 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે, જેમાં આજે જ 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચાલુ મોસમનો રાજ્યમાં કુલ 61.50 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Navsari News : જિલ્લાની ત્રણેય મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, 128 માર્ગો થયા બંધ