ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા ભયાનક પલટા અને ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ આ કુદરતી આફત રાજ્યના ત્રણ અલગ-અલગ પરિવારો માટે કાળ સાબિત થઈ છે. વાવાઝોડા દરમિયાન પોતાની માલ-મિલકત અને પશુધનને બચાવવાના પ્રયાસોમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે ગ્રામ્ય પંથકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

 ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

સૌથી હૃદયદ્રાવક ઘટના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા ગામે સામે આવી છે. અહીં વાવાઝોડાના કારણે પતરાનો આખો શેડ હવામાં ફંગોળાઈને ધરાશાયી થઈ રહ્યો હતો. એ જ સમયે ઘર આંગણે બાંધેલી માસૂમ વાછરડીને બચાવવા માટે પરિવારના 42 વર્ષીય મોભી દોડ્યા હતા. પરંતુ કમનસીબે પતરા અને લોખંડના ભારેખમ એંગલો સીધા આ વ્યક્તિ પર પડતાં તેઓ નીચે દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ડીસા અને વડોદરામાં વાવાઝોડાનું તાંડવ

આવી જ બીજી એક ઘટના ડીસા તાલુકાના વરણ ગામમાં બની હતી, જ્યાં વાવાઝોડા દરમિયાન ઘરનો સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા જતાં અચાનક મકાનની કાચી દિવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. આ કાટમાળ નીચે 3 લોકો દટાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેમાં એક આધેડનું મોત થયું છે અને અન્ય બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ત્રીજી ઘટના વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વક્તાપુરા ગામે બની હતી. ખેતરમાં કામ કરી રહેલા એક વૃદ્ધ ખેડૂત પર ભારે પવનના કારણે અચાનક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગ્રામજનોએ આ અંગે સ્થાનિક મામલતદાર અને તંત્રને લેખિતમાં જાણ કરી યોગ્ય વળતરની માગ કરી છે.

આ પણ વાંચો:Surat: ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસેલા વરસાદથી ઉનાળુ પાક અને કેરીના બગીચાઓ પર સંકટ