મૂળ અમદાવાદના અને હાલ ન્યૂઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલું એક દંપતી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા કરવા માટે ભારત આવ્યું હતું. આ દંપતી નેપાળ બોર્ડર ક્રોસ કરીને આગળ વધી રહ્યું હતું તે દરમિયાન નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા છે. દંપતી ગુમ થવાના સમાચાર મળતાં જ અમદાવાદના મણિનગર સ્થિત તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. નેપાળમાં બનેલી આ હોનારતમાં અન્ય ભારતીયો પણ ગુમ થયા હોવાના અહેવાલો વચ્ચે મણિનગરના પરિવારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ છે.
ફોન સ્વિચ ઓફ આવતા સંપર્ક તૂટ્યો
દુર્ઘટના ઘટી ત્યારથી જ ગુમ થયેલા દંપતીના મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે, જેના કારણે પરિવારનો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ચિંતાતુર પરિવારજનોએ આશંકા વચ્ચે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. પરિવારજનોનું માનવું છે કે જો નેપાળ અને ચીન સરકાર બંને તરફથી વધુ સપોર્ટ અને મદદ મળે, તો રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બની શકે છે અને ગુમ થયેલા દંપતી સહિત અન્ય લોકોને વહેલી તકે શોધી શકાય તેમ છે.
