રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓ/ તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતા સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા અમલી બનતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
દસથી વધુ વાહનો ફેરવી શકાશે નહી
આ જાહેરનામાં અનુસાર, ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુથી રાજકીય પક્ષો, ઉમેદવારો તથા લોકોના વાહનો જાહેર રસ્તા ઉપર મોટી સંખ્યામાં એક જ સાથે ફરે તો ટ્રાફીક અડચણ ઉભી ન થાય તે માટે કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષના કાર્યકરો કે રાજકીય પક્ષના વ્યક્તિ કોન્વોયમાં એક સાથે દસ થી વધુ વાહનો ફેરવી શકશે નહી. કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓને લઈ જવામાં આવતા હોઈ તેવા કોન્વોયમાં પણ એક સાથે દસથી વધુ વાહનો ફેરવી શકાશે નહી, કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓના દસ થી વધુ વાહનોના કોન્વોયમાં દસ વાહનોની મર્યાદામાં કોન્વોય બ્રેક કરવો (અલગ કરવો) અને આવા બ્રેક કરેલ દરેક કોન્વોય વચ્ચે ૧૦૦ મીટરનું અંતર જાળવવાનું રહેશે. છતાં પણ આવા કોઈપણ મહાનુભાવશ્રીના સંબંધમાં જારી કરાયેલ સુરક્ષા સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
21 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે
આ હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસના વાહનો, ચૂંટણી કામે જતાં સ્ટાફના વાહનો, સક્ષમ અધિકારી દ્વારા ચૂંટણીને કામે સંપાદન કરવામાં આવેલ વાહનોને લાગું પડશે નહી. કોઈ વ્યકિત સંબંધમાં તેઓને આપેલ સુરક્ષાના સંબંધે સલામતી કર્મચારીઓના વાહનોને જે તે સુચનાઓને આધીન લઈ જવાના રહેશે. આ જાહેરનામાંનાં ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.