પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. મૃતક વિદ્યાર્થી MBBSના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ તરફ પુત્રના મોતને લઈ પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.


 16 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ  રેગિંગ કર્યું

પાટણમાં ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. મળતી માહિતી મુજબ, MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય અનિલ મેથાણીયાનું શંકાસ્પદ મોત થયું છે. કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછ હાથ ધરી છે. ડો. હાર્દિક શાહે 11 વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનું ખૂલ્યું છે. 16 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ સિનિયરોએ જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હતું. મૃતક સહિત 11 જેટલા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પરિવારજનોની માથે દુ:ખનો આભ ફાટ્યો

પાટણના સીમાડે આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના શંકાસ્પદ મોતને કારણે હડકંપ મચી ગયો છે. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે હવે આ યુવકના મોતના સમાચાર સાંભળી પરિવારજનોની માથે જાણે આભ ફાટી પડ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયું છે.

શું કહ્યુ ધારપુર મેડિકલ કોલેજના ડીને ?

સમગ્ર મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું કે, અનિલ નટવરભા મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થીઓની પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ મૃતક અનિલ નટવરભાઈ મેથાણીયાને ત્રણેક કલાક ઊભા રાખી ઈન્ટ્રોડેકશન આપવાની વાત કરેલ હતી. જે દરમિયાન આ ઘટના બનવા પામી હતી. અમે આ મામલે કમિટી મિટિંગ બોલાવી છે. જો રેગિંગની ઘટના સામે આવશે તો આ મામલે તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.





  • Follow us on: