ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 66 સિંહોના જીવ બચાવાયા છે.


ટ્રેકની વચ્ચે આવ્યો એક સિંહ

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે 19 સપ્ટેમ્બર 2024 (ગુરુવારે) લગભગ સાંજે 6 કલાકે, લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્ય મથક - જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ (મુખ્ય મથક - જૂનાગઢ) કિમી. 114/4 - 114/3 સણગીર-કાંસિયાનેશ સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર 01 સિંહ બેઠેલા જોવા મળ્યા ત્યારે પેસેન્જર ટ્રેન નંબર 06394 દેલવાડા-જૂનાગઢને ઈમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી.

અધિકારીઓએ કામગીરીની કરી પ્રશંસા

ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સિંહ ટ્રેક પરથી ખસી ગયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી મળતાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

08 ઓગસ્ટ 2024ના રોજ પણ બની હતી આવી જ ઘટના

લોકો પાયલોટ વિવેક વર્મા, હેડક્વાર્ટર સુરેન્દ્રનગર અને સહાયક લોકો પાયલોટ રાહુલ સોલંકી, હેડક્વાર્ટર બોટાદ, જ્યારે ગુડ્સ ટ્રેન નંબર PPSP/ ICDD D/S, પર પીપાવાવ–રાજુલા સેક્શનમાં કિ.મી. 21/8 પર 05.30 વાગ્યે કામ કરી રહ્યા હતા. તે વખતે ફોરેસ્ટ ટ્રેકરે લાલબત્તી બતાવી લાલબત્તીને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ માહિતી આપી હતી કે રેલ્વે ટ્રેક પર 2 સિંહ બેઠા છે. થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી.

17 જૂન 2024ના રોજ પણ બની હતી આવી જ ઘટના

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા,વહેલી સવારે પીપાવાવ પોર્ટ નજીક રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા 10 સિંહોને જોઇને ટ્રેનના લોકોપાયલોટે સમયસર ટ્રેનને બ્રેક મારીને સિંહોના એક ગ્રુપનો જીવ બચાવ્યો હતો.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 17 જૂન, 2024ના રોજ સવારે, લોકોપાયલોટ મુકેશ કુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી લઈ જતા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી.

લોકો પાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.


  • Follow us on: