સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અને તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીઓ અન્વયે જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ જાહેર મકાનો, ખાનગી મકાનો, માર્ગ, સાઈન બોર્ડ, માઈલ પથ્થરો વગેરેનો ચૂંટણી પ્રચારના કામે ઉપયોગ ન કરવા માટે જરૂરી સુચનો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમિયાન પોસ્ટર નહી લગાવાય
આ જાહેરનામાં અનુસાર, કોઈ ઉમેદવાર, સંગઠન/સંસ્થા અથવા પક્ષ કે અનુયાયીઓ/કાર્યકરો/સમર્થકો કે હમદર્દીએ ખાનગી મકાનના લેખિત પૂર્વ મંજુરી વગર તેમજ જાહેર જગ્યાએ જમીન, મકાન, કંમ્પાઉન્ડની દિવાલોનો, વીજળીના થાંભલો ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમિયાન પોસ્ટર ચોટાડવા, ચિત્ર લખવા, પ્રતિક ચીતરવા, ધ્વજ દંડ ઉભા કરવા, પતાકા લગાવવા, નોટીસો ચોટાડવી, રોશની કરવી વગેરે માટે ઉપયોગ કરી શકાશે નહિ તેમજ પોતાના અનુગામીઓને પણ આવી છુટ આપી શકાશે નહીં.
મિલકતનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરી શકશે નહી
કોઈ ઉમેદવાર/સંગઠન/સંસ્થા અથવા પક્ષ કે તેના અનુગામી/કાર્યકર સમર્થક કે હમદર્દ કોઈ પણ પ્રકારની જાહેર મિલકતનો તથા ખાનગી મિલકતનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરી શકશે નહી. જાહેર મિલકત એટલે જાહેર મકાનો, માર્ગો, મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ ધોરી માર્ગ પર માઈલ પથ્થરો, રેલવે ફાટકના ચેતવણીના બોર્ડ, રેલ્વે પ્લેટફોર્મ, બસ ટર્મિનલ નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થશે.
જાહેરનામાનો નહી કરાય ભંગ
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તા.૨૧/૦૨/૨૦૨૫ અને ૨૪:૦૦ કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે.